Thursday, April 26, 2012

મંદિરની પ્રદક્ષિણા શા માટે કરવામાં આવે છે?


પરંપરા - સુખદેવ આચાર્ય
આપણે જ્યારે કોઈ મંદિરમાં જઈએ ત્યારે ભગવાનનાં દર્શન કર્યા પછી આપણે મંદિરના ગર્ભાગારની પ્રદક્ષિણા કરીએ છીએ. લોકો સામાન્ય રીતે ત્રણ વાર પ્રદક્ષિણા કરતા હોય છે. ક્યાંક આ સંખ્યા એક, ત્રણ, સાત, અગિયાર હોય છે. મંદિર સિવાય વડ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગણપતિજીએ પણ માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી લીધી હતી. જે વાત સૌ કોઈ જાણે છે.
મધ્યબિંદુ વિના વર્તુળ દોરી શકાતું નથી. ઈશ્વર આપણા જીવનનું મધ્યબિંદુ, ઉદ્ભવસ્થાન અને સારતત્ત્વ છે. તેને આપણા જીવનનું મધ્યબિંદુ ગણીને આપણે દૈનિક કાર્યો કરતા હોઈએ છીએ.
વળી, વર્તુળ ઉપરનું દરેક બિંદુ કેન્દ્રથી સમાન અંતરે આવેલું હોય છે. એનો અર્થ એવો છે કે આપણે જ્યાં હોઈએ કે જે કંઈ પણ હોઈએ, આપણે સમાન રીતે ઈશ્વરની સમીપે જ છીએ. કોઈ પણ જાતના ભેદભાવ વિના તેની કૃપા આપણી તરફ વહેતી હોય છે.
પ્રદક્ષિણા હંમેશાં ડાબેથી જમણી બાજુ કરવામાં આવતી હોય છે. તેવું શા માટે તે જાણીએ. જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે ભગવાન હંમેશાં આપણી જમણી બાજુએ હોય છે. હિન્દુઓ જમણી બાજુને પવિત્ર ગણે છે, તેથી આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ ત્યારે આપણે સતત એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે ધર્મના અને ઈશ્વરના પક્ષમાં રહીને આપણે પવિત્ર અને નેક જીવન જીવવાનું છે. ઈશ્વર શક્તિ અને મદદના ખૂબ જ જરૂરી મૂળ સ્ત્રોત છે, તે આપણા જીવનના સાચા પથદર્શક છે, સાચા મદદગાર છે. આમ વિચારવાથી આપણે આપણી દુષ્પ્રવૃત્તિઓ અને ભૂતકાળમાં કરેલાં પાપ ફરીથી કરવામાંથી બચી જઈએ છીએ.
આપણાં શાસ્ત્રો આપણને બોધ આપે છે. માતૃ દેવો ભવ. એટલે કે માતાને દેવરૂપ માનો. પિતૃ દેવો ભવ. એટલે કે પિતાને દેવરૂપ માનો. આચાર્ય દેવો ભવ. એટલે કે આચાર્યને દેવરૂપ માનો. આ વાતને ધ્યાનમાં રાખીને આપણે આપણાં માતા, પિતા અને ગુરુની દેવોની જેમ પ્રદક્ષિણા કરેલી તે કથા જાણીતી છે.
મંદિરમાં પૂજા કર્યા પછી આપણે મંદિરની પ્રદક્ષિણા કરીને આપણા અંતરમાં વરેલા પરમાત્માને સ્વીકારીને આપણે તેમનું સ્મરણ કરીએ છીએ. આપણે બહાર જેની મૂર્તિસ્વરૂપે પૂજા કરીએ છીએ, તે જ પરમાત્મા આપણી અંદર છે.

No comments:

Post a Comment